શું છે ? ચાંદીપુરા વાઇરસ, ગુજરાતના રાજકોટમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે. મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે.
દિવ્ય ભાસ્કરે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યું કે સેમ્પલના રિપોર્ટ આવવામાં કેમ મોડું થાય છે? એના જવાબમાં તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું કે હાલ સુધી સેમ્પલ પુણે મોકલતા હતા, પણ હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે.
7માંથી એક જ કન્ફર્મ ચાંદીપુરા વાઇરસનો કેસ જોવા મળ્યોઃ આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલની રોગચાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિવ્યૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરાના 29 સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે, જેમાં 15નાં મોત થયાં છે. મોટે ભાગે 4 વર્ષથી 14 વર્ષ સુધીનાં બાળકોમાં આ પ્રમાણ જોવા મળ્યું છે. પરીક્ષણ માટે પુણે સેમ્પલ મોકલ્યા છે. 7માંથી 1 જ કન્ફર્મ ચાંદીપુરા વાઇરસનો કેસ જોવા મળ્યો છે. રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓને સૂચના આપી પગલાં લેવા માટે કહેવાયું છે. રેતીની માખી જ્યાં એનું ઘર બની રહે ત્યાં દવાનો છંટકાવ કરવા ટીમોને કામે લગાવી અને આવનારા દિવસોમાં તમામ જિલ્લામાં ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ આ માટે એક સઘન પ્રયાસ હાથ ધરશે અને એકપણ જગ્યા બાકી ન રહે એવો પ્રયાસ કરવામાં આવશે.
‘ચાંદીપુરા વાઇરસ કોરોના જેવો ચેપી રોગ નથી’
તેમણે આગળ કહ્યું હતું કે કોરોનાકાળમાં ડર હતો કે ચેપ લાગશે એ રીતે આ ચેપી રોગ નથી, પરંતુ પ્રિકોશન રાખવાની ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. બાળકને તાવ આવે કે તરત જ પીએચસી કે સીએચસી અથવા શક્ય હોય તો નજીકની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી સારવાર કરાવે એ પ્રાથમિક તબક્કે ખૂબ જરૂરી છે. જો સારવાર માટે લાંબો સમય લાગી જાય તો મૃત્યુઆંક વધે છે. હજુ પણ રાજ્યના તબીબો સાથે, આરોગ્ય વિભાગની ટીમ સાથે આ રોગમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે ? એ બાબતની વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીશું. આ રોગને કાબૂમાં લાવી શકાય એમ છે, જેથી લોકો પાણી ભરાયાં હોય ત્યાં દવાનો છંટકાવ કરે, મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરે. ઇમ્યુનિટી ઓછી હોય એવા લોકોને આ રોગ થાય છે. હાલમાં 29 દર્દીમાંથી 15નાં મોત થયાં છે અને બાકીના સારવાર લઈ રહ્યાં છે.
મુખ્યમંત્રીએ ડસ્ટિંગ ડ્રાઇવ ચલાવવા સૂચના આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેનાં પગલાંની સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાઉડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય એ બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાનાં કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.
અમદાવાદમાં 2 બાળકનાં મોત
અમદાવાદ ચાંદીપુરાનો કહેર યથાવત્ છે. શહેરમાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં તેમને અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ત્રણમાંથી બે બાળકનાં મોત થઈ ગયાં છે.10 જુલાઈએ દાખલ થયેલી સરદારનગરમાં રહેતી અને મૂળ રાજસ્થાની એક વર્ષની બાળકીનું મોત થયું છે. 15 જુલાઈના રોજ હોસ્પિટલમાંથી બાળકીનાં પરિવારજનો પોતાની મરજીથી રજા લઇ રાજસ્થાન ગયાં હતાં, જ્યાં તેનું 16 જુલાઈએ મોત થઈ ગયું હતું. જ્યારે ચાંદલોડિયાના અર્બુદાનગરની બાળકી 14 જુલાઇએ સિવિલમાં દાખલ થઈ હતી. તેનું 17 જુલાઈએ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ત્રીજું 5 વર્ષનું બાળક સૈજપુર વિસ્તારમાં આવેલા પ્રેમનગરનું હોવાનું સામે આવ્યું છે. તે 15 જુલાઈથી સિવિલમાં સારવાર હેઠળ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નોબલનગરની 11 વર્ષની બાળકી હાલ સિવિલમાં હાલ દાખલ છે. વેન્ટિલેટર પર રહેલી આ બાળકીનો પણ મોડીરાત સુધીમાં રિપોર્ટ આવશે.
જામનગર જિલ્લામાં બે શંકાસ્પદ કેસ નોંધાયા
જામનગર જિલ્લાના ધ્રોલ તેમજ જામજોધપુરમાં પણ ચાંદીપુરાના વાઇરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ બન્ને બાળકો ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આરોગ્ય ટીમ દ્વારા બંને ગ્રામ્ય પંથકમાં આરોગ્યવિષયક પગલાં લેવા માટેની દોડધામ શરૂ કરાઈ છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળે આરોગ્ય વિભાગની ટુકડીને દોડતી કરવામાં આવી છે અને સંક્રમિત બાળક અને તેના પરિવાર સહિતનાં પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં અત્યારસુધીમાં 5 બાળકનાં મોત
રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીનાં મોત થઈ ગયાં છે, જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરિયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતિયાનો 2 વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને 9 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15 જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢિયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલને 15 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું તેમજ મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે 3 વર્ષીય રિતિક રાજારામ મુખિયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.
6 જુલાઈએ મોતને ભેટેલી કિશોરીનો આજે ખુલાસો
ગત 6 જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબાના લાલપુરી ગામે 9 વર્ષીય કિશોરી મોતને ભેટી હતી. આ બાળકીનું ચાંદીપુરા વાઇરસને લઈને મોત થયું હતું. ત્યાર બાદ ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કિશોરીનું શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મોત થયું હતું તેના ઘરેથી બે સેન્ડફ્લાય માખી મળી આવી છે.
બે દિવસની સારવાર બાદ કિશોરીનું મોત
જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પંચમહાલના ઘોંઘબા તાલુકાના લાલપુરી ગામે 9 વર્ષીય કિશોરીની અચાનક તબિયત લથડતાં તાત્કાલિક વડોદરા ખાતે પારુલ હોસ્પિટલમાં 04/07/2024ના રોજ દાખલ કરવામાં આવી હતી, જ્યાં બે દિવસની સારવાર બાદ કિશોરીનું 06/07/2024ના રોજ શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને કારણે મોત થયું હતું.
70 જેટલી સેન્ડફ્લાયના નમૂનાઓ લેવામાં આવ્યા
ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે કિશોરીના શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસને લઈને મોત થયા બાદ જિલ્લા આરોગ્ય વિભાગની સર્વેલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલી સેન્ડફ્લાયના નમૂનાઓ લેવામાં આવ્યા છે. એને લઈને ઘોઘંબા તાલુકામાં લાલપુરી ગામે આખા વિસ્તારને સર્વેલન્સ કરવામાં આવ્યો છે.
શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે.
વાઈરસ કોને સંક્રમિત કરી શકે છે?
ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.
2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાઇરસ
પુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાઇરસ રિસર્ચ સેન્ટરના પી.એન. ભટ્ટ અને એફ.એમ. રોડ્રિજ્યસ નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાઇરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં આ વાઇરસ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ 2010માં પણ ચાંદીપુરા વાઇરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો.
જ્યારે વર્ષ 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં પણ આ વાઇરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યાર બાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોમાં પણ આ રોગના દર્દીઓ નોંધાયા હતા. ગુજરાતમાં દર વર્ષે આ વાઇરસના કેસ જોવા મળે છે.